વેગનર સૈનિકોએ રોસ્ટોવ શહેરમાં પ્રવેશ કર્યો અને દક્ષિણ રશિયાના મુખ્ય સૈન્ય મથકને કબજે કર્યું છે. મોસ્કોમાં સત્તાવાળાઓએ અર્ધલશ્કરી જૂથના માલિક, યેવજેની પ્રિગોઝિન વિરુદ્ધ વિદ્રોહનો આરોપ મૂકી વોરન્ટ જાહેર કર્યું હતું.
રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિનની ખાનગી સેના વેગનર ગ્રુપે તેમની સામે બળવો કર્યો છે. વેગનર ગ્રુપ એક સમયે પુતિન સમર્થક હતું અને યુક્રેનમાં રશિયા વતી લડી રહ્યું હતું. મીડિયા અહેવાલો અનુસાર, હવે વેગનર જૂથના નેતા યેવજેની વિક્ટોરોવિચ પ્રિગોઝિને તેના સૈનિકોને રોસ્ટોવ શહેરમાં મોકલ્યા છે. યેવજેનીએ શહેરમાં આર્મી હેડક્વાર્ટર અને એરપોર્ટ સહિતની લશ્કરી જગ્યાઓ પર કબજાે કરવાનો દાવો કર્યો છે. રસ્તાઓ પર ટેન્ક ઉતારી દેવામાં આવી છે. રશિયન સેના સાથે તેની અથડામણના સમાચાર પણ સામે આવી રહ્યા છે. તે કહે છે કે તેના ૨૫,૦૦૦ સૈનિકો મરવા માટે તૈયાર છે.
પ્રિગોઝિને ખુલ્લેઆમ કહ્યું છે કે, જે પણ અમારા કેન્દ્રોમાં પ્રવેશ કરશે તેને આ માટે જવાબદાર ગણવામાં આવશે. આ પછી, રોસ્ટોવમાં રશિયન અધિકારીઓએ લોકોને તેમના ઘરોમાં રહેવાની અપીલ કરી છે. તે જ સમયે, રશિયન સેનાએ પણ તેની સંપૂર્ણ તૈયારી કરી લીધી છે. મોસ્કોને જાેડતો હાઇવે બંધ કરી દેવામાં આવ્યો છે. આ સિવાય યેવજેનીની ધરપકડ કરવાના આદેશ પણ આપવામાં આવ્યા છે. વેગનર જૂથનો બળવો પુતિન માટે મોટો ફટકો છે કારણ કે આ જૂથ તેમને યુક્રેન સાથેના યુદ્ધમાં મદદ કરી રહ્યું હતું.
અગાઉ રશિયા-યુક્રેન યુદ્ધની વચ્ચે રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન સૌથી મોટી મુશ્કેલીમાં મુકાઈ ગયા છે. એવી આશંકા છે કે રશિયામાં બળવો થઈ શકે છે. સુત્રોમાંથી મળતા સમાચાર મુજબ રશિયામાં ખાનગી આર્મીએ બળવો કર્યો છે અને મોસ્કો હાઈ એલર્ટ પર છે અને રાજધાનીમાં સુરક્ષા વધારી દેવામાં આવી છે.
રશિયાએ ગઈકાલે વેગનર ગ્રૂપના વડા યેવગેની પ્રિગોજિન પર બળવાના પ્રયાસનો આરોપ લગાવ્યો હતો. મોસ્કો હાઈ એલર્ટ પર છે. રાજધાનીમાં સુરક્ષા વધારી દેવામાં આવી છે. પ્રિગોજિનને દાવો કર્યો છે કે રશિયનો સરહદમાં ઘૂસી ગયા છે અને તેમણે રશિયન સેનાના એક હેલિકોપ્ટરને પણ તોડી પાડ્યું છે. ઘટનાક્રમ સંબંધિત તમામ વિગતો રાષ્ટ્રપતિ પુતિનને જણાવવામાં આવી રહી છે. સ્થાનિક મીડિયાના રિપોર્ટ્સ અનુસાર, વેગનરની સેનાએ રોસ્ટોવ શહેરમાં ઘણી જગ્યાઓ પર કબજાે કરી લીધો છે. રોસ્ટોવ શહેરના મેયરે લોકોને ઘરની અંદર રહેવા વિનંતી કરી છે. પ્રિગોઝિને યુક્રેનમાં વેગનર તાલીમ શિબિર પર મિસાઇલ હુમલા માટે ક્રેમલિનને દોષી ઠેરવ્યો હતો. આ હુમલામાં વેગનરના ઘણા લડવૈયાઓ માર્યા ગયા હતા. આ પછી રશિયાએ પ્રિગોગીન સામે કાર્યવાહી શરૂ કરી હતી.