Bank of Maharashtra : બેન્ક ઓફ મહારાષ્ટ્ર (BoM) એ નાણાકીય વર્ષ 2023-24 ના ચોથા ક્વાર્ટર (જાન્યુઆરી-માર્ચ)માં ચોખ્ખો નફો 45 ટકા વધીને રૂ. 1,218 કરોડ નોંધ્યો છે. પુણે સ્થિત જાહેર ક્ષેત્રના ધિરાણકર્તાનો ચોખ્ખો નફો એક વર્ષ અગાઉના સમાન ક્વાર્ટરમાં રૂ. 840 કરોડ હતો. BOMએ શેરબજારને આપેલી માહિતીમાં જણાવ્યું હતું કે, સમીક્ષા હેઠળના ત્રિમાસિક ગાળામાં બેંકની કુલ આવક વધીને રૂ. 6,488 કરોડ થઈ છે. જે ગયા વર્ષના સમાન ગાળામાં રૂ. 5,317 કરોડ હતી.
સમીક્ષા હેઠળના સમયગાળા દરમિયાન વ્યાજની આવક વધીને રૂ. 5,467 કરોડ થઈ છે, જે એક વર્ષ અગાઉના સમાન ક્વાર્ટરમાં રૂ. 4,495 કરોડ હતી. બેંકની ગ્રોસ નોન-પર્ફોર્મિંગ એસેટ્સ (NPAs) માર્ચ 2023ના અંતે 2.47 ટકાથી ઘટીને 31 માર્ચ, 2024 સુધીમાં કુલ એડવાન્સિસના 1.88 ટકા થઈ ગઈ છે. નેટ એનપીએ પણ 2024ના અંતે એડવાન્સિસના 0.25 ટકાથી ઘટીને 0.20 ટકા થઈ ગયું છે. દરમિયાન, બેંકના બોર્ડ ઓફ ડિરેક્ટર્સે 31 માર્ચ, 2024 ના રોજ પૂરા થતા નાણાકીય વર્ષ માટે શેર દીઠ રૂ. 1.40 અથવા ફેસ વેલ્યુ રૂ. 10ના 14 ટકા ડિવિડન્ડની ભલામણ કરી છે.