RBI
રિઝર્વ બૅન્ક ઑફ ઇન્ડિયાએ પ્રાયોરિટી સેક્ટર લેન્ડિંગ-પીએસએલ)ના નિયમોમાં મોટા ફેરફારોની જાહેરાત કરી છે. નવો નિયમ એક એપ્રિલ, 2025થી લાગુ થશે. આ ગાઇડલાઇન્સ વર્તમાન જોગવાઈઓની વ્યાપક સમીક્ષા અને સંબંધિત સ્ટેકહોલ્ડર્સ પાસેથી પ્રાપ્ત પ્રતિક્રિયાઓના આધારે તૈયાર કરવામાં આવી છે. આ ફેરફારથી એમએસએમઈ, કૃષિ, રિન્યુએબલ એનર્જી, અફોર્ડેબલ હાઉસ અને નબળા વર્ગને આપવામાં આવતી લોનને વેગ મળશે.
PSL નિયમોમાં ફેરફાર
1. પ્રાયોરિટી સેક્ટર લેન્ડિંગનું કવરેજ વધારવાના ઉદ્દેશ સાથે હાઉસિંગ લોન સહિત અન્ય લોન મર્યાદામાં વૃદ્ધિ
2. રિન્યુએબલ કેટેગરીમાં લોન વર્ગીકૃત કરવાના માપદંડોનું વિસ્તરણ
3. અર્બન કો-ઓપરેટિવ બૅન્કો માટે કુલ PSL લક્ષ્ય સંશોધિત કરી તેમને ઓડિટેડ નેટ બૅન્ક ક્રેડિટ તથા ઑફ બેલેન્સ શીટ એક્સપોઝરના ક્રેડિટ સમતુલ્ય જે પણ વધુ હોય તેના 60 ટકા કરવામાં આવી છે.
4. નબળા વર્ગની કેટેગરી હેઠળ પાત્ર લોનધારકોની સંખ્યામાં વધારો કરવાની સાથે UCBs દ્વારા વ્યક્તિગત મહિલા લાભાર્થીઓને આપવામાં આવતી લોનની મહત્તમ મર્યાદા વધારવામાં આવી છે.
હાઉસિંગ લોન મર્યાદામાં વધારો
RBIએ સુધારેલી માર્ગદર્શિકામાં હાઉસિંગ લોનની મર્યાદા અને મકાન કિંમતમાં નોંધપાત્ર સુધારો કર્યો છે. જ્યાં પહેલા બે કેટેગરી હતી, હવે RBIએ પ્રાયોરિટી સેક્ટર લેન્ડિંગ (PSL) હેઠળ હાઉસિંગ લોન માટે ત્રણ કેટેગરી નક્કી કરી છે. આ પગલું વિવિધ આવક જૂથોમાં, ખાસ કરીને ટિઅર-IV/V/VI શહેરોમાં ઓછી કિંમતના/અફોર્ડેબલ હાઉસિંગને પ્રોત્સાહન આપશે.
સમારકામના કામો માટે લોન મર્યાદામાં વધારો
આરબીઆઈએ હવે જૂના કે જર્જરિત મકાનોના સમારકામ માટે ઉપલબ્ધ લોનની મર્યાદા વધારી છે. આ પગલું બૅન્કો અને અન્ય નાણાકીય સંસ્થાઓ માટે સલામત અને વિશિષ્ટ ક્ષેત્રમાં લોનનું વિતરણ કરવાની નવી તકો ખોલે છે. વધુમાં, તે ઘરમાલિકોના નાણાંકીય તણાવમાં પણ ઘટાડો કરશે.