અમેરિકામાં ગેરકાયદે રીતે પ્રવેશતા લોકો જાે પકડાય તો તેમને ટ્રેક કરવા માટે ઘણીવાર ઈલેક્ટ્રોનિક ટેગ્સ પહેરાવવામાં આવતા હોય છે. તેવામાં હવે યુકેમાં પણ ઈલીગલ ઈમિગ્રન્ટ્‌સ પર નજર રાખવા માટે તેમને પણ ઈલેક્ટ્રોનિક ટેગ કે જેને દેશી ભાષામાં કડું કહેવામાં આવે છે તે પહેરવાની ફરજ પાડવામાં આવી શકે છે. યુકેમાં દર વર્ષે મોટી સંખ્યામાં લોકો ઈંગ્લિશ ચેનલ પાર કરીને નાની બોટ્‌સમાં ગેરકાયદે રીતે પહોંચતા હોય છે, હાલના પીએમ રિશી સુનક ગેરકાયદે રીતે યુકેમાં આવતા લોકો સામે સખ્ત કાર્યવાહી કરી તેમને ફટાફટ ડિપોર્ટ કરી રહ્યા છે ત્યારે હવે આવા લોકો પર નજર રાખવા યુકે જલ્દી એક નવો જ પ્લાન અમલમાં મૂકવા જઈ રહ્યું છે. આમ તો ઈલીગલ ઈમિગ્રન્ટ્‌સને કડું પહેરાવવાની દરખાસ્ત એકાદ વર્ષ પહેલા રજૂ કરવામાં આવી હતી, પરંતુ તેનો અમલ હવે આવનારા દિવસોમાં થઈ શકે છે. ટેલીગ્રાફના એક રિપોર્ટ અનુસાર જીપીએસ ટ્રેકર દ્વારા ઈલીગલ ઈમિગ્રન્ટ્‌સ પર રિયલ ટાઈમ નજર રાખવામાં આવશે, અને તેમને દિવસમાં એકથી વધુ વાર ઈમિગ્રેશન ઓફિસરને ટેક્સ્ટ મેસેજ મોકલવાના રહેશે. જાે ટ્રેકર પહેરેલો કોઈ વ્યક્તિ ભાગી જવાનો કે પછી ટ્રેકર કાઢવાનો પ્રયાસ કરશે તો તેને જામીન મેળવવાનો કે યુકેમાં રહેવાનો કોઈ હક્ક નહીં મળે અને આવા વ્યક્તિને તાત્કાલિક ડિપોર્ટ કરી દેવામાં આવશે. યુકેમાં હાલ ઈલીગલ ઈમિગ્રન્ટ્‌સની સંખ્યા એટલી બધી વધી ગઈ છે કે દેશમાં ઈમિગ્રેશન ડિટેન્શન સેન્ટર્સમાં જગ્યા નથી રહી, તેવામાં રોજબરોજ મોટી સંખ્યામાં ગેરકાયદે રીતે યુકેમાં ઘૂસતા લોકોને ડિટેઈન કરીને કસ્ટડીમાં રાખવા મુશ્કેલ બની રહ્યું છે. આ સ્થિતિમાં યુકેના ઈમિગ્રેશન વિભાગે ઈલીગલ ઈમિગ્રન્ટ્‌સને જામીન પર છોડી તેમના પર નજર રાખવા તેમને ઈલેક્ટ્રોનિક ટેગ્સ પહેરાવવાનો પ્લાન અમલમાં મૂકવાની તૈયારી શરૂ કરી છે.

યુકેમાં બોટ દ્વારા ઈંગ્લિશ ચેનલ પાર કરી ગેરકાયદે રીતે ઘૂસતા લોકોનો આંકડો સતત વધી રહ્યો છે. ૨૦૨૧માં ૨૮ હજાર લોકો આ રીતે યુકેમાં ઘૂસતા પકડાયા હતા, જ્યારે ૨૦૨૨માં આ આંકડો ૪૫ હજારને આંબી ગયો હતો, ચાલુ વર્ષમાં જ યુકેના ઈમિગ્રેશન વિભાગે ૧૯ હજારથી વધુ લોકોને પકડ્યા છે. યુકેમાં ડિટેન્શન સેન્ટર્સ ઉપરાંત હવે જેલ પણ કેદીઓથી ભરાઈ રહી છે, તેવામાં જાે ઈલીગલ ઈમિગ્રન્ટ્‌સને ટેગ પહેરાવી મુક્ત કરી દેવામાં આવે તો ડિટેન્શન સેન્ટર્સને પણ જેલ તરીકે ઉપયોગમાં લઈ શકાય છે. જાેકે, ઈલીગલ ઈમિગ્રન્ટ્‌સને ઈલેક્ટ્રોનિક ટેગ્સ પહેરાવવાના પ્રસ્તાવનો કેટલાક લોકો વિરોધ પણ કરી રહ્યા છે, તેઓ આ પગલાંને અમાનવીય ગણાવીને સલામતીના કારણોસર જીવના જાેખમે બ્રિટન સુધી પહોંચતા લોકોને ગુનેગારની માફક ટ્રીટ કરવાનો સરકાર પર આરોપ પણ મૂકી રહ્યા છે. યુકેની હોમ ઓફિસ દ્વારા તાજેતરમાં જ દેશમાં શરણાગતિના પેન્ડિંગ કેસોનો આંકડો જાહેર કરવામાં આવ્યો હતો, જે અનુસાર યુકેમાં પહેલીવાર અસાયલમનો બેકલોગ ૧.૭૫ લાખ પર પહોંચી ગયો હોવાનું બહાર આવ્યું હતું, અને તેમાંય ૭૮ હજારથી વધુ અપીલ તો ચાલુ વર્ષના જૂન મહિના સુધીના સમયમાં જ ફાઈલ કરવામાં આવી હતી. તેમાંય ૧.૩૯ લાખ શરણાર્થીઓ છેલ્લા છ મહિનાથી પોતાના કેસની પહેલી હિયરિંગ થવાની રાહ જાેઈ રહ્યા છે. ઈલીગલ ઈમિગ્રન્ટ્‌સને હોટેલમાં રાખવામાં ખૂબ જ ખર્ચો આવતા હોવાથી યુકેની સરકારે તેમને બિબલી સ્ટોકહોમ નામના એક વિશાળ જહાજમાં રાખવાનો વિચાર કર્યો છે, પરંતુ તેની સામે જાેરદાર વિરોધ કરવામાં આવી રહ્યો છે. યુકેમાં દર વર્ષે જે હજારોની સંખ્યામાં ઈલીગલ ઈમિગ્રન્ટ્‌સ આવે છે તેમની પાછળ સરકારને પણ મોટો ખર્ચો કરવો પડે છે. એક અંદાજ અનુસાર, ડિટેન્શન સેન્ટર્સમાં જગ્યા ના રહેતા સરકાર આવા લોકોને હોટેલ્સમાં ડિટેઈન કરીને રાખે છે અને તેના માટે તેને વર્ષે-દહાડે ૬૦ લાખ પાઉન્ડ જેટલો ખર્ચ કરવો પડે છે.

Share.

Leave A Reply

Exit mobile version